Advertisement

આણંદમાં ગરમીનો પ્રારંભ: પારો 41 ડિગ્રીએ પહોંચતા ચરોતરવાસીઓ અકળાયા, હીટવેવની આગાહીને પગલે તંત્ર એલર્ટ

આણંદમાં ગરમીનો પ્રારંભ: પારો 41 ડિગ્રીએ પહોંચતા ચરોતરવાસીઓ અકળાયા, હીટવેવની આગાહીને પગલે તંત્ર એલર્ટ

આણંદ: ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી હીટવેવની ચેતવણી વચ્ચે આણંદ અને વલ્લભ વિદ્યાનગરમાં ગરમીનો પારો 41 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયો છે. જોકે આગામી ચાર દિવસ દરમિયાન આ તાપમાન હજુ પણ વધીને 43 થી 45 ડિગ્રી સુધી પહોંચવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. અત્યારે 41 ડિગ્રી તાપમાન હોવા છતાં બપોરના સમયે રસ્તાઓ પર ગરમ પવનો ફૂંકાવાનું શરૂ થઈ ગયું છે, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચરોતર પંથકમાં ગરમીની સાથે બફારો પણ વધી રહ્યો છે. આગામી 96 કલાક રાજ્યના અન્ય ભાગોની સાથે આણંદ જિલ્લામાં પણ હીટવેવ જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. આ ગંભીર પરિસ્થિતિને જોતા આરોગ્ય વિભાગ દ્વારા લોકોને ખાસ સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને નાના બાળકો, વૃદ્ધો અને બીમાર વ્યક્તિઓને બપોરના આકરા તડકામાં બહાર ન નીકળવા અને શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખવા માટે વધુ પ્રમાણમાં પ્રવાહી લેવા જણાવાયું છે.


શહેરીજનો ગરમીથી બચવા માટે શેરડીનો રસ, છાશ અને ઠંડા પીણાંનો સહારો લઈ રહ્યા છે. બીજી તરફ, વહીવટી તંત્ર દ્વારા પણ હીટસ્ટ્રોકના કિસ્સાઓનો સામનો કરવા માટે હોસ્પિટલોમાં ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે. જો આગામી દિવસોમાં ગરમીનો પારો વધુ ઉપર જશે, તો જનજીવન પર તેની વ્યાપક અસર જોવા મળી શકે છે.

Advertisement