આણંદ-કરમસદ મનપાનો ટેક્સ હિસાબ જાહેર
આણંદ : કરમસદ આણંદ મહાનગરપાલિકામાં રૂપાંતરિત કર્યા બાદ ૨૦૨૫-૨૬ના ટેક્સની કુલ રકમ રૂા. ૬૫.૧૯ કરોડ જેટલી થઈ છે. જેમાં હાલ રૂા. ૧૭.૧૯ કરોડની વસુલાત કરી દેવામાં આવી છે. માર્ચ-૨૦૨૬ સુધીમાં મનપા દ્વારા ૮૫ ટકા રકમ વસૂલ કરવામાં આવે તેવા લક્ષ્યાંકનું આયોજન કરાયું છે. મનપામાં હાલ કુલ ૧.૪૭ લાખ મિલકત ધારકો છે. ત્યારે તેમને સરેરાશ રૂા. ૪,૪૨૯ ટેક્સ ચૂકવવો પડશે.
કરમસદ આણંદ મહાનગરપાલિકા બન્યા પહેલા આણંદ, વિદ્યાનગર અને કરમસદમાંથી કુલ રૂા. ૫૮.૬૦ કરોડનો ટેક્સ આણંદ નગરપાલિકાને મળતો હતો. મહાનગરપાલિકા બનતા જીટોડિયા, મોગરી, લાંભવેલ અને ગામડી ગામનો હવે સમાવેશ થતા ૨૦૨૫-૨૬નો મિલકત વેરો રૂા. ૬૫.૧૯ કરોડ થયો છે. એટલે કે, મનપામાં સમાવેશ થયેલા ગામોની મિલકતોનો રૂા. ૬.૫૯ કરોડ ટેક્સ વધી જશે.
કરમસદ આણંદ મનપા દ્વારા ૨૦૨૪-૨૫ના ટેક્સના રૂા. ૫૮.૬૦ કરોડ પૈકી રૂા. ૩૯.૨૦ કરોડની વસુલાત કરાઈ હતી. જ્યારે રૂા. ૧૯.૪૦ કરોડની વસૂલાત ૨૦૨૩-૨૪ની બાકી પડી હતી.
જ્યારે નવા વર્ષ ૨૦૨૫-૨૬માં ટેક્સની કુલ રકમ રૂા. ૬૫.૧૯ કરોડ થઈ છે. જેમાંથી અત્યાર સુધી રૂા. ૧૭.૧૯ કરોડની વસુલાત કરાઈ છે. જ્યારે રૂા. ૪૮ કરોડની વસૂલાત નવા વર્ષની બાકી છે. મનપામાં છેલ્લા બે વર્ષની ટેક્સ વસૂલાતની બાકી રકમ રૂા. ૬૭.૪૦ કરોડ જેટલી થાય છે.
કરમસદ આણંદ મનપાના ટેક્સ અધિકારી પરેશભાઈ મિીએ જણાવ્યું હતું કે, હાલ નવા વર્ષના ટેક્સની વસૂલાત અંગે માંગણાની નોટિસો બજાવવાની કામગીરી ચાલુ છે. નોટિસો બાદ માર્ચ-૨૦૨૬માં કુલ રકમના ૮૫ ટકા રિકવરી કરવાનો લક્ષ્યાંક નક્કી કરાયો છે. મોટી રકમ બાકી હોય તેવા ૩,૦૦૦થી વધુ મિલકત ધારકોને નોટિસો અપાઈ છે. ગત વર્ષે ૨૦૦થી વધુ મિલકતો સીલ પણ કરાઈ હતી.
જીટોડિયા, મોગરી, લાંભવેલ, ગામડીમાં 2026-27 માં નવા ટેક્સનું ભારણ
કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા હાલ મનપામાં સમાવેશ કરાયેલા ગામોમાં જુના ટેક્સ પ્રમાણે વસૂલાત કરવામાં આવી રહી છે. ૨૦૨૬-૨૭માં નવી આકારણી મુજબ મનપાના નિયમ મુજબ નવો ટેક્સ વસૂલ કરાશે. આગામી સમયમાં મનપા દ્વારા નવી આકારની સંદર્ભે સર્વે કરાશે. ત્યારબાદ મનપાના તમામ વિસ્તારોમાં નવો ટેક્સ અમલમાં આવશે. મનપામાં સમાવેશ કરવામાં આવેલા તમામ ગામોમાં આવતા વર્ષથી ટેક્સનું ભારણ વધી જશે.
વિસ્તાર પ્રમાણે રહેણાંક અને કોમર્શિયલ મિલકતોની સંખ્યા
વિસ્તારમિલકતોઆણંદ૯૨,૦૦૦વિદ્યાનગર૧૩,૦૦૦કરમસદ૧૯,૪૦૦લાંભવેલ૩,૫૦૦મોગરી૭,૬૦૦ગામડી૭,૮૦૦જીટોડિયા૩,૯૦૦કુલ૧,૪૭,૨૦૦