આણંદ અને કરમસદ સંયુક્ત મહાનગરપાલિકાના વહીવટી મોરચે એક મહત્વના અને મોટા સમાચાર સામે આવ્યા છે. કરમસદ-આણંદ મનપાના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે આર.એન.ડોડીયાએ આજે સત્તાવાર રીતે પોતાના પદનો કાર્યભાર અને કમાન સંભાળી લીધા છે. મનપા કચેરી ખાતે આવી પહોંચેલા નવા કમિશનરનું અધિકારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું, જે બાદ તેમણે વિધિવત રીતે ચાર્જ લીધો હતો.
નવા મ્યુનિસિપલ કમિશનર આર.એન.ડોડીયાએ ચાર્જ સંભાળતાની સાથે જ એક્શન મોડમાં આવીને મનપાના ઉચ્ચ અધિકારીઓ અને વિવિધ વિભાગના વડાઓ સાથે એક તાકીદની પ્રાથમિક બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે આણંદ અને કરમસદ વિસ્તારમાં ચાલી રહેલા વિકાસકામો, સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સ તેમજ પ્રી-મોન્સૂન કામગીરીની સમીક્ષા કરીને વહીવટી પ્રક્રિયાઓને વધુ ઝડપી બનાવવા માટે જરૂરી કડક સૂચનાઓ આપી હતી. એક કાર્યદક્ષ અધિકારી તરીકે ઓળખાતા આર.એન.ડોડીયાના આગમનથી મનપાના વહીવટમાં વધુ પારદર્શિતા અને ગતિ આવશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.