આણંદ : આણંદ જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી,આણંદના સભાખંડ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં જિલ્લાના જન પ્રતિનિધિઓ દ્વારા રજૂ કરવામાં આવેલ એમજીવીસીએલ, માર્ગ અને મકાન, પાણી પુરવઠા, માર્ગ રસ્તા મરામત, નવીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, જિલ્લામાં વિવિધ સ્થળોએ રહેલા દબાણ દૂર કરવા, કાંસ સફાઈ અને રસ્તા પર ઊગી નીકળેલ વનસ્પતિ કટીંગ, ડીવાઈડર પર સ્ટ્રીટ લાઈટ અને પશુ દવાખાના તેમજ ખાણ ખનીજ સહિત વિવિધ વિભાગને લગતી પ્રજાલક્ષી બાબતો અંગે ત્વરિત યોગ્ય કાર્યવાહી કરવા જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું.
આ બેઠકમાં કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીએ જિલ્લામાં નાગરિકોના હિતોને સ્પર્શતા વિવિધ વિષયો અંગેના પ્રશ્નો જેવાં કે પુલ કે રસ્તા સમારકામ અંગેની બાબતો, નાગરિકોની પડતર અરજીઓના નિકાલ, પ્રાથમિક આરોગ્યની સુવિધાઓ, પશુઓ માટે નવીન પશુ દવાખાના તથા વીજળી વિભાગને લગતા વિવિધ પ્રશ્નો જેમ કે વીજકાપ, વીજ ઓવરલોડ અને જોખમી વીજ થાંભલા ઉતારી લેવા તેમજ પીવાના પાણીની રજૂઆત સહિતના વિવિધ પ્રશ્નો અંગે સકારાત્મક અભિગમથી કામ કરી ઝડપી અને યોગ્ય નિકાલ કરવા સબંધિત અધિકારીઓને માર્ગદર્શક સૂચનો આપ્યા હતા.
ઉલ્લેખનીય બાબત છે કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ પેટ્રોલ અને ડીઝલની બચત થાય તે માટે બેઠકો યોજવા સહિતની અન્ય કામગીરી વર્ચ્યુઅલ માધ્યમથી કરવા માટે કરેલ અપીલને ધ્યાને લઈ જિલ્લા કલેક્ટરશ્રીના સૂચન અનુસાર જિલ્લાની મોટા ભાગની કચેરીઓના અધિકારીઓ સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં ઓનલાઇન માધ્યમથી જોડાયા હતા.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવાહુતી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ગૌરવ જસાણી, લોકસભા સાંસદશ્રી મિતેશભાઈ પટેલ, ધારાસભ્ય સર્વ શ્રી ચિરાગભાઈ પટેલ, શ્રી યોગેશ પટેલ, શ્રી હર્ષદભાઈ પરમાર, નિવાસી અધિક કલેકટરશ્રી આર.એસ.દેસાઈ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી સહિતના વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે સંકલન સમિતિના અન્ય વિભાગના અધિકારીઓ ઓનલાઈન માધ્યમથી આ બેઠકમાં જોડાયા હતા.
****