આણંદ : ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ, ગાંધીનગર દ્વારા આણંદ જિલ્લાના સફાઈ કામદારોના બાળકોના શૈક્ષણિક વિકાસ માટે પ્રોત્સાહક યોજના અમલમાં મૂકવામાં આવી છે. માર્ચ/એપ્રિલ-૨૦૨૬ ની ધોરણ-૧૦ અને ધોરણ-૧૨મા આર્ટસ, કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષામાં પાસ થનાર વિદ્યાર્થીઓને પ્રશસ્તિપત્ર અને ઈનામ અપાશે.
આણંદ જિલ્લાના લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ લેવા જિલ્લા મેનેજર, ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ, આણંદ દ્વારા અનુરોધ કરાયો છે.
આ યોજના હેઠળ માર્ચ/ એપ્રિલ 2026 માં લેવામાં આવેલ ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ, કોમર્સ કે વિજ્ઞાન પ્રવાહમાં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓ અરજી કરી શકશે. ઓનલાઇન મળેલ અરજીઓ પૈકી પ્રથમ ક્રમે આવનારને રૂા. ૫૧,૦૦૦, દ્વિતીય ક્રમે રૂા. ૪૧,૦૦૦ અને તૃતીય ક્રમે રૂા. ૩૧,૦૦૦ મળશે. યોજનામાં કોઈ આવક મર્યાદા રાખવામાં આવી નથી. અરજી માટે સક્ષમ અધિકારીનું સફાઈ કામદારના આશ્રિત હોવાનું પ્રમાણપત્ર અને વર્ષ ૨૦૨૬ ની માર્કશીટ ઓનલાઈન અપલોડ કરવાની રહેશે.
લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓએ નિગમની વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in પર તારીખ ૩૦/૦૬/૨૦૨૬ સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે, તેમ જિલ્લા મેનેજર, ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ, આણંદ દ્વારા જણાવાયું છે.