આણંદ જિલ્લામાં ફૂડ સેફ્ટી તવાઈ, ત્રણ વેપારીઓને રૂ.3 લાખ દંડ

આણંદ જિલ્લામાં ફૂડ સેફ્ટી તવાઈ, ત્રણ વેપારીઓને રૂ.3 લાખ દંડ

આણંદ જિલ્લામાં ખોરાક સલામતી અને ગુણવત્તાના નિયમોના ભંગ બદલ ત્રણ વેપારી પેઢીઓને દંડ ફટકારવામાં આવ્યો છે. આણંદના સુંદર કાઠીયાવાડી, સહયોગ રેસ્ટોરન્ટ અને ખંભાતના રાણા જીવણલાલ મણીલાલને કુલ રૂ. 3 લાખનો દંડ કરવામાં આવ્યો છે.

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આણંદના સુંદર કાઠીયાવાડી, ખંભાતના રાણા જીવણલાલ મણીલાલ અને આણંદના સહયોગ રેસ્ટોરન્ટ ખાતે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન સુંદર કાઠીયાવાડીમાંથી કેરીના રસનો, રાણા જીવણલાલ મણીલાલમાંથી ગોપીશ્રી દેશી ઘીનો અને સહયોગ રેસ્ટોરન્ટમાંથી પનીરનો નમૂનો લેવામાં આવ્યો હતો.

લેબોરેટરી તપાસમાં આ તમામ નમૂનાઓ સબ-સ્ટાન્ડર્ડ જાહેર થયા હતા. ત્યારબાદ, ફુડ સેફટી ઓફીસર, આણંદ દ્વારા ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ એજયુડીકેટીંગ ઓફીસર અને નિવાસી અધિક કલેકટર, આણંદની કોર્ટમાં કેસ દાખલ કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી.

કોર્ટ દ્વારા સંબંધિત પક્ષકારોને નોટિસ આપી રજૂઆતની તક આપવામાં આવી હતી. તમામ પુરાવાઓ અને રજૂઆતોની ચકાસણી કર્યા બાદ, એજયુડીકેટીંગ ઓફીસર અને નિવાસી અધિક કલેકટર, આણંદની કોર્ટે ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006ની કલમ-50 અને 51 મુજબ દંડ ફટકારવાનો આદેશ કર્યો.

આ આદેશ મુજબ, સુંદર કાઠીયાવાડી, આણંદને રૂ. 25,000, રાણા જીવણલાલ મણીલાલ, ખંભાતને રૂ. 1,75,000 અને સહયોગ રેસ્ટોરન્ટ, આણંદને રૂ. 1,00,000 નો દંડ કરવામાં આવ્યો છે. જિલ્લા વહીવટી તંત્ર અને ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જાહેરહિતમાં ખોરાકની ગુણવત્તા અને સલામતી બાબતે કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં.