Advertisement

51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો ભવ્ય પ્રારંભ, અંબાજી ભક્તિમાં લીન

51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો ભવ્ય પ્રારંભ, અંબાજી ભક્તિમાં લીન

 પવિત્ર યાત્રાધામ તથા આદ્ય શક્તિપીઠ અંબાજી ખાતે 30મી જાન્યુઆરીથી ત્રણ દિવસીય શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પરંપરાગત ધાર્મિક વાતાવરણ વચ્ચે પ્રારંભ થયો હતો. પહેલા દિવસે અંબાજી ધામમાં રાજ્યભરમાંથી ઉમટી પડેલા એક લાખથી વધુ શ્રધ્ધાળુ ભાઈ બહેનોએ જગતજનની માઁ અંબાના દર્શન અને પૂજન કરી લોકોની સુખાકારી, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.બોલ માડી અંબે..જયજય અંબેના નાદથી ગુંજી ઉઠ્યો


અરવલ્લીની ગીરીમાળાની વચ્ચે શોભાયમાન માતાજીના પ્રાગટય સ્થાન ગણાતા ગબ્બર પર્વત ઉપર 60 કરોડ રૂપિયાના ખર્ચે એક જ સ્થળે એક જ માર્ગ ઉપર આબેહૂબ નિર્માણ પામેલ દેશવિદેશના 51 શક્તિપીઠ મંદિરોની પરિક્રમા કરીને ધન્ય બન્યા હતા. પરિક્રમાના પહેલા દિવસે પરંપરાગત પાલખી યાત્રા અને પવિત્ર જ્યોત યાત્રા નીકળતાં સમગ્ર રૂટ ઉપર બોલ માડી અંબે..જયજય અંબેના નાદથી ગુંજી ઉઠ્યો હતો. 


યાત્રાધામ અંબાજી ધામ ખાતે શુક્રવાર (30મી જાન્યુઆરી)થી દબદબાભેર શરૂ થયેલ શ્રી 51 શક્તિપીઠ પરિક્રમાના પાવન અવસરે રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે વન અને પર્યાવરણ રાજ્યમંત્રીએ ધાર્મિક મહોત્સવનો પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે, 'ભારતીય સંસ્કૃતિની સૌથી મોટી તાકાત તેની આધ્યાત્મિક શક્તિમાં રહેલી છે. શ્રદ્ધા અને પ્રાર્થના માનવીના જીવનને નવી દિશા અને નવી ઊર્જા આપે છે. જીવનમાં મુશ્કેલીઓ અને પડકારો આવે ત્યારે ભક્તિ, સ્તુતિ અને આરાધનાનો માર્ગ માનસિક શાંતિ અને આત્મબળ પૂરું પાડે છે. માઁ અંબાના ચરણોમાં શરણાગતિ લેતા જ જીવનની અનેક મૂંઝવણોનો ઉકેલ પ્રાપ્ત થાય છે.'

550 પોલીસ જવાનો તહેનાત


ઉલ્લેખનીય છે કે, વર્ષ 2008માં દેશભરના 51 શક્તિપીઠોના દર્શન એક જ સ્થળે ભક્તોને પ્રાપ્ત થાય તે માટે કરોડોના ખર્ચે અંબાજી માતાના પ્રગટય સ્થળ ગબ્બર પર્વતની પાવન ભૂમી ઉપર તમામ શક્તિપીઠોના આબેહુબ મંદિરોની સ્થાપના કરવામાં આવી હતી. યાત્રાધામ વિકાસ બોર્ડ અને અંબાજી મંદિર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે છેલ્લા 5 વર્ષથી દર વર્ષે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવની ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. યાત્રિકોની સુરક્ષા માટે પરિક્રમાના ત્રણ દિવસ દરમિયાન 550 પોલીસ જવાનો ગબ્બર પર્વત મંદિર રોડ,  પાકગ સહિત ચાર ઝોનમાં બંદોબસ્ત માટે તહેનાત કરાયા છે. મહોત્સવમાં મોટી સંખ્યામાં સાધુ-સંતો, પદાધિકારીઓ, અધિકારીશ્રીઓ તથા હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડતાં સમગ્ર અંબાજી ધામ ભક્તિ અને આસ્થાના રંગે રંગાયું છે.

કેસરી ધજાઓ સાથે શ્રધ્ધાળુઓની 51 શક્તિપીઠોની પરિક્રમા 


પરિક્રમા મહોત્સવના પહેલા દિવસે સવારથી જ માઈભક્તોનો અવિરત પ્રવાહ ગબ્બર તરફ જઈ રહેલો નજરે પડતો હતો. 51 શક્તિપીઠ પરિક્રમાના માર્ગ ઉપર માઈ ભક્તો, વડીલો યુવાનો વૃદ્ધો મહિલાઓ બાળકો હોશે હોશે પરિક્રમા કરી રહેલા જોવા મળતા હતા.

આદિવાસી યુવાન યુવતીઓના પરંપરગત નૃત્યનું આકર્ષણ 


અંબાજીમાં મહોત્સવના પહેલા દિવસે આ વિસ્તારના આદીવાસી સમાજના ભાઈ બહેનો પોતાની પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈને પહોંચ્યા હતા. તેમના દ્વારા પરિક્રમાના માર્ગ ઉપર લોક સંસ્કૃતિને ઉજાગર કરતા કલાત્મક નૃત્ય રજૂ કરતાં તે જોઈને અહીં હાજર તમામ શ્રધ્ધાળુઓ આફરીન પોકારી ઉઠ્યા હતા. 



અંબાજીથી ગબ્બર સુધીનો 3 કિમીનો માર્ગમાં રંગબેરંગી રોશની


સમગ્ર ગબ્બર પરિસરને વિવિધ ફૂલોથી શણગારવામાં પણ આવેલ હતું. મંદિર ટ્રસ્ટ તરફથી 5 જગ્યાએ નિશુલ્ક ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે. તથા પાર્કિંગની પણ વ્યવસ્થા છે, અંબાજીથી ગબ્બર જતા ત્રણ કિલોમીટરના આ માર્ગને ભવ્ય રોશનીથી પણ સજાવામાં આવ્યું છે.




શેષનાગ ગુફાનો જીર્ણોધ્ધારનું કાર્ય પૂર્ણ


ગબ્બર પર્વત ઉપર આવેલ શેષનાગ ગુફાના જીર્ણોધ્ધારની ચાલી રહેલી કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જેમાં ધાર્મિક વિધી મુજબ સ્થાપિત તમામ મૂર્તિઓ અને શિવલીંગની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી છે.

Advertisement